MAHENAT NO ROTALO || GUJARATI VARTA || GUJARATI STORY

0

મહેનતનો રોટલો: એક મોચી

કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, “મોચીભગત ! મારા પગનાં પગરખાંનું શું પડે ?”' મોચીએ કહ્યું, “મારી પાસે સીવેલાં તૈયાર નથી, મહારાજ!''

સાધુ કહે, “સીવી દો તો શું લો?” મોચીએ કહ્યું, “દોઢ રૂપિયો”. સાધુને નવાઈ લાગી. બીજાઓએ બે રૂપિયા દેખાડ્યા હતા. પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ દોઢ રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, “દોઢ તો કહેવાનો પણ લેવાના કેટલા?” મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, “જે કહેવાના એ લેવાના, મહારાજ! આપની ઇચ્છા હોય તો બનાવું.” સાધુએ કહ્યું, “અચ્છા બનાવો, ક્યારે આપશો?” મોચી બોલ્યો, “પરમ દિવસે આ વખતે.” સાધુ કહે, “જરૂર હોં ! મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય.” મોચી કહે, “જાઓ કે ન જાઓ. પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે.” પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછયું, ““મોચીભગત, કેટલે આવ્યું આપણું કામ ?” મોચીએ કહ્યું, “બેફિકર રહો મહારાજ, વાયદો નહિ ચૂડું.” છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, “લાવને, જરા મોચીને ત્યાં આંટો મારું.”

પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, “મહારાજ, તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો ? સાંજે આવજો, જાઓ.” સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતાં. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને બે રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો, તેણે સાધુને કહ્યું, “જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચૂરણ લઈ આવું.” સાધુએ કહ્યું, “રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો.” મોચીએ કહ્યું, “હું તમાકુ પીતો નથી, મહારાજ.” તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો.” ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે.” મોચી સામેની દુકાને પરચૂરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને ઝોળીમાંથી પારસમણિ કાઢ્યો. કોઈ જુએ નહિ એ રીતે મોચીનાં ઓજારોને પારસમણિ ઘસી દીધો. બધાં ઓજારો સોનાનાં થઈ ગયાં ! પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, “ભગત, મૂઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે.” મોચીએ ખીસામાંથી એક સિક્કો આપતાં કહ્યું, “લો, એક મૂઠી ચણામાં શું થશે ?'' એ દુકાન તરફ ચાલતો થયો. એક મૂઠી ચણા તો મારી પાસે છે.” એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધાં સોનાનાં ! તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઊઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, “અરે ભગવાન ! હવે હું આ સોનાનાં ઓજારોથી કેવી રીતે કામ કરીશ?” તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યાં. પછી ઊંચે મૂકેલાં ઘસાયેલાં ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે, “ગમે તેમ પણ સાધુની ઇચ્છા તો આપણને સુખી કરવાની જ હતી.” બિચારાએ બાર મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવાં ઓજાર વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો, ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, “કેમ છો, મોચીભગત ?” મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, “ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે, સાધુ મહારાજ ! સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતાં જ મોચીભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો.

સાધુને વહેમ પડ્યો. આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, “'મોચીભગત, ઓજાર બગાડ્યાં નથી, સોનાનાં બનાવ્યાં છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધાં ને ?” “મને ખબર છે મહારાજ, સોનાનાં છે પણ એ સોનું મેં મારાં બાવડાંના બળથી ઓછું મેળવ્યું છે ? આવું મફતનું સોનું શું કરવું છે ? એ પડ્યાં ખૂણામાં, તમે પાછાં જ લઈ જાઓ.'

સાધુએ મોચીને શિખામણ આપતાં કહ્યું, 'નોચીભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરનાર માણસો રાખો. બેઠાં બેઠાં ખાઓ ને લહેર ઉડાઓ.'  મોચીએ પૂછયું, “ભગવાને આ હાથપગ આપ્યા છે, એને શું કરું મહારાજ ?”' નવાઈ ભરી આંખે સાધુ તો મોચીભગત સામે તાકી જ રહ્યા. મોચીએ કહ્યું : “સાધુ મહારાજ, ભગવાને હાથપગ કંઈ બેઠાં બેઠાં ખાવા માટે નહિ, કામ કરવા આપ્યા છે.” આ સાંભળી સાધુ બોલ્યા, ““મોચીભગત, સાચી વાત છે ! ભગવાને કામ કરવા જ હાથપગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ.”

સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતાં મોચીએ સાધુએ પૂછયું, “કેમ મૂંગા થઈ ગયા ?” સાધુએ કહ્યું, “હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું.” શા વિચારમાં પડી ગયા છો, મહારાજ! મેં તમને કહ્યું એ ખોટું છે ?” “તમારી વાત નથી, મારી વાત છે''-સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, “હું પણ નાનુંમોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ પણ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ! ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ.” મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતાં બબડ્યો, “આપ ખરા સાધુ !'


Tags
To Top